પ્રતિભાવો ઉર્ફે Comments

Tuesday, October 15, 2013

દિલીપ ધોળકીયા : પડોશી ગુમાવ્યાની પીડા, સરનામામાં સામેલ થયાનો આનંદ

દિલીપ ધોળકિયા : 15-10-1921થી 02-01-2011

ગુજરાત અને ગુજરાતીઓ જેમને ગાયક – સંગીતકાર તરીકે ઓળખે છે એવા દિલીપ ધોળકીયાની અંગતતમ ઓળખાણ મને ઉર્વીશ કોઠારી દ્વારા થઈ હતી. શાસ્ત્રીય સંગીતના વાર્ષિક જલસા જેવા સપ્તકના કાર્યક્રમો જ્યાં આયોજિત થાય છે તે કાશીરામ અગ્રવાલ હોલ નજીકનું ગોયલ ટેરેસનું નિવાસસ્થાન છોડીને તેઓ વસ્ત્રાપુરમાં હિલ્લોરા રેસીડેન્સીમાં મારા ઘરની નજીક રહેવા આવ્યા હતા. મોબાઇલનો વ્યાપ વધ્યા પહેલાના એ દિવસોમાં તેમનો સંપર્ક કરવાની જરૂર ઉભી થતાં હું પહેલીવાર ઉર્વીશ / Urvish Kothari વતી તેમના ઘરે ગયો હતો. લેન્ડલાઇન ફોન જૂના ઘરેથી ટ્રાન્સફર નહોતો થયો એ સંજોગોમાં મારે એમને ઉર્વીશ કોઠારીની સાથે-સાથે સુરત ખાતે હરીશ રઘુવંશીનો / Harish Raghuvanshi સંપર્ક કરવાનું કહેવાનું હતું.

એમણે ફોન તો કર્યો જ, એ કામ પોતે કરી લીધું છે તેની પહોંચ મને પણ ફોન કરીને આપી. આવી નાની નાની કાળજી બહુ ઓછા લોકો લઈ શકે છે. દિલીપકાકા તેમાંના એક હતા. મુંબઈ અમદાવાદ વચ્ચે વહેંચાયેલા રહેતા દિલીપકાકા એ પછી વખતોવખત પોતે મુંબઈથી અમદાવાદના ઘરે આવી ગયા છે તેવી પહોંચ આપતા રહ્યા. ફોન કરે અથવા મોર્નિંગ વોકમાં નીકળતા સાદ આપે.

દિલીપ ધોળકીયા અને ઉર્વીશ કોઠારી : સંવાદનો સમય મધરાતના સવા બે
તેમને મળવા જઉં એટલે મુંબઈ પાછા ફરવાની તારીખ કહે. ઉર્વીશની સાથે ચંદ્રશેખરભાઈ વૈદ્ય, રંજનબહેન અને અરવિંદભાઈ દેસાઈ તેમજ ગ્રામોફોન ક્લબના ખબરઅંતર અચૂક પૂછે. ગુજરાતી – અંગ્રેજી દૈનિકો અને સામયિકોની ક્રોસવર્ડ પઝલના ખાલી ખાનાં ઉલટભેર ભરતા દિલીપકાકા ક્યાંક અટકે તો સંભવિત જવાબોની ચર્ચા પણ કરે. ગણેશ ચતુર્થીના દિવસોમાં ઘરમાં ગણપતિ સ્થાપન કરે અને વિસર્જન અગાઉ સગાં-સંબંધીઓની સાથે મિત્રોને યાદ કરીને આમંત્રિત કરે. ગીત સંગીતના અનેક જાહેર કાર્યક્રમો આપનાર દિલીપ ધોળકીયા / Dilip Dholakia માટે જાણીને નવાઈ લાગશે કે તેઓ ગ્રામોફોન ક્લબના / Gramophone Club કાર્યક્રમની તારીખ સાથે તેમના અમદાવાદ આગમનના દિવસોનો તાલ મિલાવતા. ગાયક મિત્ર બદરીનાથ વ્યાસ / Badrinath Vyas સાથે ગ્રામોફોન ક્લબનો કાર્યક્રમ માણતા. એ પછી ટાગોર હોલથી ઘર સુધીની સફરના સાથીદાર બનતા દિલીપકાકા જાન્યુઆરીના પ્રથમ પખવાડિયામાં અમદાવાદમાં કાશીરામ અગ્રવાલ હોલ ખાતે યોજાતા શાસ્ત્રીય સંગીતના વાર્ષિક જલસા સપ્તકમાં / Saptak / http://www.saptak.org/ થતી રજૂઆતોને આરંભથી મધરાત સુધી માણતા.

આ જલસો હવે તેમના ઘરથી નજીક આઈઆઈએમ-અમદાવાદના જૂના કેમ્પસ સામે આવેલી અમદાવાદ યુનિવર્સિટીની મેનેજમેન્ટ કૉલેજમાં આયોજિત થાય છે. પરંતુ કાશીરામ અગ્રવાલ હોલથી નજીક આવીને વસ્ત્રાપુરમાં વસેલા દિલીપકાકા હવે મારી-તમારી પહોંચ ન હોય એવી દૂર-દેશાવરની જગ્યાએ જઇને વસ્યા છે.

તેમની ગાયકી અને સંગીત સદાકાળ યાદ રહેશે પરંતુ તેમની સાથે જીવેલી ક્ષણોની ખોટ પડે છે. અંગત ધોરણે આશ્વાસન લઈ શકું તો એટલું કે તેમની પડોશમાં રહેતા નેહરૂપાર્ક – વસ્ત્રાપુરમાં જ્યાં રહું છું તે રોડ હવે ‘પીઢ સંગીતજ્ઞ શ્રી દિલીપ ધોળકીયા માર્ગ’ તરીકે ઓળખાય છે. આ વર્ષે અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન / Ahmedabad Municipal Corporation અને તત્કાલીન મેયર અસિત વોરા દ્વારા 24 એપ્રિલ 2013ના રોજ તે અંગેની સત્તાવાર જાહેરાત થઈ તે પછી મેં મારા ઘરના સરનામામાં ફેરફાર કરીને એક લાઈન ઉમેરી છે – ‘શ્રી દિલીપ ધોળકીયા માર્ગ’. દિલીપકાકા જેવા પડોશીને ગુમાવવાની પીડા પછી આનંદ એ વાતનો છે કે તેમનું નામ મારા સરનામામાં જોડાઈ ગયું – કાયમ માટે.


તસવીરો : બિનીત મોદી

2 comments:

  1. સૌ મિત્રો,
    બ્લોગની 82મી પોસ્ટ (15 ઑક્ટોબર 2013)ના વાચન માટે આભારી છું.

    બિનીત મોદી (અમદાવાદ) / બુધવાર, 27 નવેમ્બર 2013

    ReplyDelete
  2. પ્રિય મિત્રો,
    બ્લોગ ‘હરતાંફરતાં’ને અઢી વર્ષ પૂર્ણ થયા.
    82મી પોસ્ટનો પહેલા વર્ષનો રીડર સ્કોર છે : 15-10-2013 to 15-10-2014 – 440

    બિનીત મોદી (અમદાવાદ)

    ReplyDelete